સમગ્ર વિશ્વમાં મોરબીનો ડંકો વાગી ગયો છે. કોરોના આવ્યા બાદ ચીન પ્રત્યે દુનિયાભરના દેશોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. તેનો સીધો ફાયદો ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને થયો છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે યુરોપ, અમેરિકા, ગલ્ફ સાહિતના અનેક દેશો જે પહેલા ચીનથી સિરામિક ઉત્પાદનો ખરીદતા હતા તેઓ હવે ભારત તરફ વળ્યા છે. આ સ્થિતિમાં ડોમેસ્ટિક માર્કેટ નબળું હોવા છતાં નિકાસ વેપારના કારણે આ ઉદ્યોગ મંદીની અસરમાંથી તેજી તરફ વળી રહ્યો છે. ભારતમાં 2020-21 દરમિયાન સિરામિક ઉદ્યોગનું કદ રૂ. 45,000 કરોડને પારની અપેક્ષા છે. આમાં મોરબીની હિસ્સેદારી 90%થી વધુ છે. વરમોરા ગ્રુપના ચેરમેન ભાવેશ વરમોરાના જણાવ્યા અનુસાર એન્ટી ચાઈના સેન્ટિમેન્ટથી ભારતને ઘણો ફાયદો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા છ મહિનામાં લગભગ રૂ. 7000 કરોડની નિકાસ થઇ છે. ગત વર્ષની તુલનાએ નિકાસ 20% વધુ છે. અમે પણ નિકાસ ઉપર ફોકસ કરી રહ્યા છીએ અને તેના માટે રૂ. 300 કરોડના રોકાણ સાથે મોરબીમાં બે અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ બનાવી રહ્યા છીએ. હાલમાં અમારા ટર્નઓવરમાં 20% એક્સપોર્ટ બિઝનેસ છે જેને અમે વધારીને 30% કરવા માંગીએ છીએ.