મધ્ય પ્રદેશના પ્રખ્યાત ધાર્મિક શહેર ઉજ્જૈનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને હવે મહાકાલ મંદિરની મેનેજમેન્ટ કમિટીએ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે માત્ર મધ્યપ્રદેશના રહેવાસીઓ જ બાબા મહાકાલના દર્શન કરી શકશે. હાલની સ્થિતિને જોઈને બહાર ગામથી આવતા દર્શનાર્થીઓને અત્યારે મંદિરમાં પ્રવેશ નહીં મળે. જયારે ટોલ ફ્રી અને ઓનલાઇન બુકિંગ કરનારા બહારના ભાવિકોને આ નિયમ અંગે માહિતી અપાશે. કોરોનાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નિર્ણય લેવાશે મંદિર પ્રશાસન તરફથી માહીતી અપાઈ છે કે મહાકાલ ધામ ઉજ્જૈનમાં અમુક દિવસોથી કોરોના કેસ ઘટ્યા હતા. હાલમાં છેલ્લા 10-12 દિવસોથી કેસની સંખ્યામાં ફરી વધારો થયો છે. તેનુ કારણ છે કે બહારગામથી જે લોકો આવ્યા છે તેને કારણે કેસમાં વધારો થયો છે. જેથી રાજ્ય બહારના લોકોને અત્યારે દર્શનની મંજૂરી નહીં મળે. જે લોકો ઓનલાઇન બુકિંગ કરાવી રહ્યા છે તેમને મેસેજ મળશે કે જો તમે મધ્યપ્રદેશના રહેવાસી ન હો તો અત્યારે બુકિંગ ન કરો.