મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં 10 બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી 3 મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે.સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.