લંડનમાં રહેતા દંપતિએ 11 વર્ષના દતક પુત્રની વીમા માટે કરી હત્યા

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેની મોત બાદ 1.3 કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આરોપ 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષના કવલ રાયજાદા પર છે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપત્તિએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના દત્તક પુત્ર ગોપાલ સેજાણીનું ગુજરાતમાં અપહરણ થયું હતું અને તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘા મારવામાં આવ્યા હતા. ઇજાઓના કારણે બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ગુજરાત પોલીસનું માનવું છે કે આ કપલને ખબર હતી કે બાળકનું મોત થશે તો તેમને કેટલી રકમ મળશે. તેથી કથિત રીતે આ પૈસાની લાલચમાં કરવામાં આવેલી હત્યા છે. આ મામલે બ્રિટને માનવ અધિકારના મુદ્દે આ દંપત્તિના પ્રત્યાર્પણની મંજૂરી આપી નથી. આ નિર્ણય પર હવે ભારત સરકારને અપીલ કરવાની મંજૂરી મળી છે.

કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો પ્રમાણે આ બન્ને 2015માં ગુજરાતના જુનાગઢ જિલ્લા સ્થિત કેશોદમાં બાળકને દત્તક લેવા માટે ગયા હતાં. ત્યારબાદ તેમણે સમાચારપત્રમાં જાહેરખબર આપી હતી જેમાં બાળકને દત્તક લઇને લંડન લઇ જવાની વાત કહી હતી. આ જાહેરખબરના માધ્યમથી તેમને ગોપાલનો સંપર્ક થયો હતો જે તેની મોટી બહેન અને બનેવી સાથે રહેતો હતો. ગોપાલના બહેન-બનેવી એ બાબતે માની ગયા કે લંડન જવાથી ગોપાલનુ જીવન સુધરી જશે.

જોકે સત્તાવાર રિપોર્ટ પ્રમાણે ગોપાલ ક્યારેય બ્રિટન જઇ શક્યો નહીં અને તેને દત્તક લેનારા માતા-પિતાએ તેના નામનો વીમો તાત્કાલિક ઉતરાવી લીધો હતો. રિપોર્ટ પ્રમાણે આ વીમાની રકમ તેમને દસ વર્ષ બાદ અથવા તો ગોપાલના મૃત્યુ બાદ મળે તેમ હતી. આરતીએ 15 હજાર પાઉન્ડના બે પ્રિમિયમ પણ ભર્યા હતા.

જુનાગઢ પોલીસના અધિકારી સૌરભ સિંઘે એક મીડિયાને ઇન્ટરવ્યુમાં કહ્યું કે થોડા દિવસો બાદ જ આરતીએ તેના નામનો વીમો ઉતરાવી લીધો હતો. આ મોટી રકમ હતી અને તેના બે પ્રિમિયમ પણ ભર્યા હતા. તેમને ખબર હતી કે ગોપાલના મૃત્યુથઈ તેમને દસ ગણી રકમ મળવાની છે. 8 ફેબ્રુઆરી 2017ના ગોપાલનું અપહરણ થયું હતું. તેના શરીર પર ઘા મારીને બાદમાં મોટરસાઇકલ પર સવાર બે લોકો તેને રસ્તા પર ફેંકીને જતા રહ્યા હતા. ગોપાલના બનેવી હરસુખ કરદાણી પણ આ હુમલામાં ઘાયલ થયા હતા જેઓ ગોપાલને બચાવવાની કોશિષ કરી રહ્યા હતા. તે મહિનામાં જ બાદમાં ઈજાઓના કારણે તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.

અમુક સત્તાવાર રિપોર્ટ પ્રમાણે આ પહેલા પણ બે વખત ગોપાલ પર હુમલા થઇ ચૂક્યા હતા જેમાં તે માંડ બચ્યો હતો. આ ઘટના બાદ હજુ સુધી વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે જેણે આ દંપત્તિ સાથે લંડનમાં એક વિદ્યાર્થી તરીકે સારો સમય પસાર કર્યો હતો. આ શંકાસ્પદ શખ્શ એ ચાર લોકો પૈકી છે જેમની આ હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. દંપત્તિ પર ભારતમાં 6 આરોપ લાગ્યા છે જેમાં કિડનેપીંગ અને મૃત્યુ માટેનું ષડયંત્ર પણ સામેલ છે.

ભારતની અરજીના અનુસંધાને તેમની યૂકેમાં 2017માં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ માનવઅધિકારના મુદ્દે આ વર્ષે જુલાઇમાં કોર્ટ મેજીસ્ટ્રેટે પ્રત્યાર્પણ માટેની મંજૂરી ફગાવી દીધી હતી. સિનિયર જજના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડબલ મર્ડર માટે આજીવન કારાવાસ છે અને તેમાં પેરોલની જોગવાઇ નથી. તેથી આમ કરવું આ દંપત્તિના માનવઅધિકારની વિરુદ્ધ છે. સજામાં કોઇ કમી જ ન થાય તે અમાનવીય છે. જોકે પ્રત્યાર્પણની માંગણી સાચી હોવાનુ પણ જજે કહ્યું હતું કારણ કે પ્રાથમિક રીતે દંપત્તિએ કરેલા ગુનાના પૂરતા પુરાવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *