અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું. મૃતકનું નામ જયપ્રકાશ કોન્ડિયારા છે. મૂળ કેરાલાના રહેવાસી છે. પતિ-પત્ની એકલા જ રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક સ્યુસાઇડ નોટ મળી છે જે મલયાલમ ભાષામાં છે જેથી દુભાષીયા મારફતે તેનું ભાષાંતર કરાવવામાં આવશે. બાદમાં સ્યુસાઇડ નોટમાં શું લખ્યું છે તેની માહિતી બહાર આવશે.ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉં.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી પોતાને સળગાવી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.