નેશનલ ડેસ્કઃ હૈદરાબાદ એન્કાઉન્ટરમાં સાઈબરાબાદ પોલીસે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સમાં ઘણાં મહત્વના ખુલાસા કર્યા છે. સાઈબરાબાદના પોલીસ કમિશનર વી સજ્જનારે કહ્યું કે, 27-28 નવેમ્બરની રાતે દિશા સાથે ગેંગરેપ થયો હતો અને ત્યારપછી તેને સળગાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારપછી તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. અમે સાઈન્ટીફિક પુરાવા ભેગા કર્યા અને નારાયણપેટથી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારપછી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર વી સજ્જનારે કહ્યું કે, 10 પોલીસકર્મી આજે વહેલી સવારે આરોપીઓને સીન રિક્રિએટ કરાવવા લાવી હતી. આ દરમિયાન બે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધા હતા. ત્યારપછી પોલીસે ચેતવણી પણ આપી હતી. પરંતુ તેમણે પોલીસ પર જ ફાયરિંગ શરૂ કરી દીધું. તે ઉપરાંત તેમણે પથ્થરથી પણ પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ચારેય આરોપી ઠાર કરી દેવામાં આવ્યા.
કેમ આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા?
પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પોલીસ કમિશનર સજ્જનારે કહ્યું કે, 4 અને 5 ડિસેમ્બરે અમે ચારેય આરોપીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પીડિતાના મોબાઈલ, પાવર બેન્ક અને ઘડિયાળ વિશે અમને જણાવ્યું હતું. આ ચીજ વસ્તુઓને શોધવા અને ક્રાઈમ સીનને રિક્રિએટ કરાવવા માટે અમે આરોપીઓને ઘટના સ્થળે લઈ ગયા હતા.