ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં હનુમાનજીના મંદિરનો ઇતિહાસ અનોખો છે જેમાં ગુજરાતમાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરની વાત જ અલગ છે. અહીયા હનુમાનજી કષ્ટભંજનદેવ તરીકે બિરાજે છે. એક સમયે ખૂણામાં પડેલું ખોબા જેવડું સાળંગપુર ગામ આજે જગતભરમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં સાળંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ મંદિરનું માહાત્મ્ય દર્શાવવા માટે પૂરતું છે.
170 વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે તેની સ્મૃતિઓ આજે પણ મોજૂદ છે. સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ છે. અદભુત નકશીકામ કરેલું આ મંદિર કોઈ રાજદરબારથી કમ નથી. નારાયણ કુંડ અહીના આકર્ષણનું કેન્દ્ર છે. દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. મંગળવાર અને શનિવારના રોજ શ્રદ્ધાળુઓની સંખ્યા 14 હજાર જેટલી હોય છે માત્ર ભારતમાંથી જ નહિ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભકતો આવે છે