ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ઉત્તરપ્રદેશના સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પીઆરડી અને નાગરિક સુરક્ષા મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે. 73 વર્ષીય ચેતન ચૌહાણની તબિયત ખરાબ થયા બાદ તેમને શુક્રવારે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા. પીએમ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથે પણ શોકાંજલિ પાઠવી છે. જુલાઈમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતા. પરંતુ કોરોનાથી મુક્ત થઈ રહ્યા હતા તે દરમિયાન શુક્રવારે કિડની અને બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા તેમની હાલતમાં સુધારો ન થતાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે તેમનું દુઃખદ અવસાન થયું હતું.