સમગ્ર દેશમાં દિવાળીના તહેવારનુ કાઉન્ટડાઉન શરુ થયુ છે. ખાસ કરીને દિવાળી અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અયોધ્યામાં દિવાળીનુ સૌથી વધુ મહત્વ છે. લાખો દિવડાઓ પ્રગટાવીને શ્રી રામને અર્પણ કરાય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું હતુ તો કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો હતો જયારે 5 પાંડવોએ ચૌદવર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દિવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતુ. આ બધા વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યો. દિવાળીમાં દિવાની સાથે અવનવી રંગોળી’ પણ અનેરો સંદેશો આપે છે. રંગોળ ઘર આંગણે સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક ગણાય છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. ‘લક્ષ્મી’ શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે લોકો સૌથી પહેલા પોતાનુ આંગણું સ્વચ્છ-સુંદર રાખે છે વળી દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત કરાય છે. બેસતા વર્ષના દિવસે તો સૌ મળવા આવે, ત્યારે રંગોળી પૂરીને સૌનું સ્વાગત કરાય છે.