રેલવે સંકુલ અને ટ્રેનોમાં માસ્ક ન પહેરવા બદલ હવે ૫૦૦ રૃપિયા સુધીનો દંડ થશે. કોરોનાને ધ્યાનમાં લઈને જાહેર કરાયેલા આદેશ અનુસાર હવે માસ્ક ન પહેરવો રેલવે એક્ટ હેઠળ અપરાધ ગણાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખી જારી કરેલ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે. કોરોનાવાઇરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવાના નિર્દેશ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અને રેલવે સ્ટેશનો પર દરેક યાત્રી માટે માસ્ક પહેરવો ફરજિયાત બનાવી દીધું છે. જારી કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનોમાં અને રેલવે પરીસરોમાં માસ્ક ન પહેરનારને ઇન્ડિયન રેલવેસ(પેનલ્ટીસ ફોર એક્ટિવિટીઝ એફેક્ટીંગ ક્લિનીનેસ એટ રેલવે પ્રિમાઇસી) રૃલ્સ, ૨૦૧૨ મુજબ દંડ ફટકારાશે . આ નિયમો મુજબ ટ્રેનમાં કે રેલવેના પરીસરોમાં થૂંકનારને પણ દંડ ફટકારવામાં આવશે. વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક ન પહેરનાર વ્યકિત પોતાના અને અન્ય માટે પણ જોખમરૃપ સાબિત થઇ શકે છે. આ આદેશ મુજબ આગામી છ મહિના સુધી આ નિયમ જારી રહેશે. એટલે કે આગામી છ મહિના સુધી ટ્રેનો અને રેલવે પરીસરોમાં માસ્ક ન પહેરનારને દંડનો સામનો કરવો પડશે.