પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવખત મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે લાહોરમાં કહ્યું કે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને મોંઘવારી દરને 7.5 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરી છે, જ્યારે પાકિસ્તાનમાં આ 12 ટકાથી વધીને 30 ટકા સુધી થઈ ગઈ છે. તેમણે તે માટે પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને જવાબદાર ગણાવ્યા છે, જે ગત વર્ષે નવેમ્બરમાં જ રિટાયર થયા છે. તેમણે કહ્યું કે મેં બાજવાને કહ્યું હતું કે ભારતના અમેરિકા સાથે સારા સંબંધ છે. જે બાદ પણ તેઓ યૂક્રેનના યુદ્ધ પર ન્યૂટ્રલ છે. તેથી પાકિસ્તાને પણ આ યુદ્ધથી દૂર જ રહેવું જોઈએ.
ઈમરાન ખાને કહ્યું કે- હું જ્યારે રશિયા ગયો હતો ત્યારે બાજવાએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. ફરી હું જ્યારે રશિયા જઈને ત્યાંથી ઘઉંની સપ્લાઈની ડીલ કરીને અને સસ્તા ઓઈલની ખરીદવાની વાત કરીને પરત ફર્યો તો તેમણે મારા પર દબાણ નાખ્યું કે હું પુતિનની નિંદા કરું. મેં દેશના હિતમાં આવું ન કર્યું. પછી એક સેમિનારમાં બાજવાએ પોતે જ રશિયાી નિંદા શરૂ કરી દીધી. આ રીતે તેમણે અમેરિકાને ખુશ કરવા માટે આપણી અર્થવ્યવસ્થાનો સોથ વાળી નાખ્યો. તેમણે કહ્યું કે આજે દેશમાં ઓઈલનું સંકટ અને ઘઉંનું સંકટ છે, તેના કારણે આ પ્રકારની પોલિસી છે.
PTIના નેતાએ કહ્યું કે મારી પાસે પહેલાના શાસકોએ દેશની સંપ્રભુતાની સમજૂતી કરી હતી. તેઓ દેશને લૂટતા રહ્યાં. તેમણે કહ્યું કે જે રીતે લૂંટ ચાલી રહી છે, તેમાં કોઈ પણ વિકાસ ન કરી શકે. તેમણે કહ્યું કે સિંગાપુરને જ જોઈએ તો ત્યાં ભ્રષ્ટ મંત્રીઓ પર એક્શન લઈને પ્રતિ વ્યક્તિ આવકને 60 હજાર ડોલર સુધી વધારી દેવાઈ છે. ઈમરાન ખાને કહ્યું કે બીજી તરફ પાકિસ્તાનની પ્રતિ વ્યક્તિ આવક 2000 ડોલર જ રહી ગઈ છે. આનું કારણ એ છે કે અહીં શાસકોએ લૂંટ ચલાવી છે. ઈમરાન ખાને કહ્યું કે અમારી માગ છે કે ખૈબર પખ્તૂન્ખ્વા અને પંજાબમાં તાત્કાલિક ચૂંટણીઓ થવી જોઈએ. તેમણે કહ્યું કે આ સરકાર ચૂંટણીથી ડરે છે કેમકે તેમને હારનો ખતરો લાગી રહ્યો છે.