રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ કર્યું હતું. શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.