દેશમાં કોરોનાનું સંક્રમણ બમણી ગતિથી વધી રહ્યું છે. એવામાં ગોવા રાજ્ય પણ બાકાત નથી. કોરોનાના વધતા સંક્રમણના પગલે હવે સૌથી મોટા પ્રવાસન રાજય ગોવામાં લોકડાઉનનો મોટો નિર્ણય લેવાયો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગોવામાં તાત્કાલિક લોકડાઉનની જાહેરાત કરી છે. સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે રાજ્યમાં 29મી એપ્રિલથી સાંજે 7 વાગ્યાથી લઈને 3જી મે સવાર સુધી લોકડાઉન રહેશે. જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ઈન્ડસ્ટ્રિયલ ગતિવિધિને છૂટ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટેલ્સ, પબ પણ બંધ રહેશે. જરૂરિયાતની વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્યની સરહદો ખુલ્લી રહેશે. ગોવામાં કોરોના વાયરસના મંગળવારે 2110 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 31 દર્દીઓના મોત થયા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 81,908 થઈ છે. જ્યારે કુલ મૃતકોની સંખ્યા 1086 છે. રાજ્યમાં હાલ 16591 એક્ટિવ કેસ છે.