સિડની ટેસ્ટમાં સતત બીજા દિવસે મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયન દર્શકો દ્વારા થતી વંશીય ટિપ્પણીની ફરિયાદ કરી. સિરાજે કેપ્ટન અજિંક્ય રહાણે અને બાકીના પ્લેયર્સ સાથે મળીને ફિલ્ડ અમ્પાયર પૉલ રાફેલને આ અંગે ફરિયાદ પણ કરી. તેના પછી અમ્પાયરે મેચ રેફરી અને ટીવી અમ્પાયર સાથે વાત કરીને પોલીસ બોલાવી હતી. આ દરમિયાન થોડી મિનિટો માટે મેચ અટકાવી પણ દેવાઈ હતી. પોલીસે 6થી વધુ દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર મોકલી દીધા હતા. તેના પછી મેચ ફરી ચાલુ કરી શકાઈ હતી. ઘટના અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રેસ રિલીઝ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની માફી માગી હતી અને ખાતરી આપી હતી કે આ મામલે તેઓ સ્ટ્રિક્ટ એક્શન લેશે. તેમણે કહ્યું કે, બોર્ડ અત્યારે આ કેસમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તપાસ સમાપ્ત કરે તેની રાહ જોઈ રહ્યું છે. જ્યારે આ પાછળ જે લોકોનો હાથ છે, તેઓ સામે આવી જશે તો તેમની સામે એન્ટી- હેરેસમેન્ટ કોડ હેઠળ એક્શન લેવામાં આવશે. તેમને ફરી ક્યારેય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ કે ન્યૂ સાઉથ વેલ્સના કોઈપણ ગ્રાઉન્ડમાં પ્રવેશ મળશે નહીં. અમે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની પણ મદદ લઈશું