કોરોનાની મહામારી વચ્ચે પાંચ મહિના પછી પવિત્ર વૈષ્ણવો દેવી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના પહેલા સપ્તાહમાં દરરોજ 2 હજાર ભક્તોને યાત્રાની મંજૂરી આપી છે જેમાં અંદાજે 100 ભક્ત જ બહારના રાજ્યોના છે હવે સવારે 6 વાગ્યાથી યાત્રિ દર્શન માટે જઈ રહ્યા છે. જો કે નવા નિયમો મુજબ યાત્રામાં સામેલ થનારા ભક્તોને 14 કિમીનું ચઢાણ માસ્ક અથવા ફેસ કવર સાથે ચઢવું પડશે, કોઈ પણ ભક્તને ફેસ કવર અથવા માસ્ક ઉતારવાની મંજૂરી અપાઈ નથી. આ વખતે યાત્રા માટે પિટ્ઠૂ અને ખચ્ચરની વ્યવસ્થા નથી. પગપાળા જ માસ્ક લગાવીને 14 કિમીની યાત્રા કરવાની વ્યવસ્થા કરાઈ છે. કોરોનાના કારણે આ વખત યાત્રામાં ખાસ પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે. યાત્રા પર જતા યાત્રિઓનું તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. સેનેટાઈઝરથી તેમને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારપછી જ તેમને આગળ જવા દેવામાં આવી રહ્યા છે.