મહારાષ્ટ્રના ભાજપના ગઢમાં એનસીપીએ મોટુ ગાબડુ પાડયુ છે. એકનાથ ખડસે રૂપી ભાજપને મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક અને પૂર્વ મંત્રી એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે, BJPના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે શુક્રવારે નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં એનસીપીમાં સામેલ થશે. પાટિલે દાવો કર્યો છે કે, ખડસેના આવવાથી NCP વધારે મજબૂત બનશે. ભ્રષ્ટાચારના આરોપ મૂકાયા બાદ વર્ષ 2016માં તત્કાલીન ભાજપ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ખડસે ખુબ નારાજ હતા. છેલ્લા કેટલાક દિવસોથી ખડસેના ભાજપ છોડવા અને શરદ પવારની NCPમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી. તેમણે કહ્યું કે, અન્ય અનેક ભાજપના ધારાસભ્યો જે તેમના સમર્થક છે, તેઓ NCPમાં સામેલ થવા ઈચ્છે છે. જો કે તેમના સામેલ થવા પર નિર્ણય લેવાનો બાકી છે. રાજ્યના NCP પ્રમુખે કહ્યું કે, અમે કોરોના મહામારીના સમયે પુન:ચૂંટણી નથી ઈચ્છી રહ્યાં. આથી આ પ્રકારે અન્ય નેતાઓ વિશે નિર્ણય યોગ્ય સમય પર લેવામાં આવશે.