સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનામાં હવે ઘરે ઘરે ઑક્સીમીટર જાણે કે ફરજીયાત થઈ રહ્યા છે સામાન્ય વ્યકિતને પણ ઓકિસમીટરના ઉપયોગની આસાનીથી ખબર પડી રહી છે. ડૉકટરોના મત મુજબ જે દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમણે પ્રોટોકોલનું પાલન કરીને ઑક્સીમીટરનો ઘરે ઉપયોગ કરવો જરુરી છે. ઑક્સીમીટરની મદદથી તમને એ વાતનો ખ્યાલ આવી શકે છે દર્દીને હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ક્યારે છે અને જરૂરિયાતમંદ લોકોનો યોગ્ય સમયે પર ઈલાજ થઈ શકે છે.ઑક્સીમીટર તમારા લોહીમાં ઑક્સીજનની તપાસ કરે છે. આ ઉપકરણની મદદથી રક્તકણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા ઑક્સીજનનું પરિવહન કરે છે તે વિશે જાણી શકાય છે. લોહીમાં ઑક્સીજનના પ્રવાહને કારણે દરેક અંગ કાર્યરત રહે છે, જે જીવિત રહેવા માટે જરૂરી છે. કોરોના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરમાં અચાનક ઑક્સીજનનું સ્તર ઘટી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે હોમ આઈસોલેટ થયેલા દર્દીઓના લોહીમાં ઑક્સીજનની નિયમિત તપાસ કરવાની જરૂરિયાત છે. ઑક્સીમીટરની મદદથી શરીરમાં ઑક્સીજનનું સ્તર ઘટે તો તેની ખબર પડે છે, જેથી દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવી શકાય છે.
કોના માટે જરૂરી છે?
બાળકો અને સ્વસ્થ વ્યક્તિ માટે આ ઉપકરણની જરૂરિયાત નથી, પરંતુ કોરોના સંક્રમિત થવા પર દરેક વ્યક્તિ માટે જરૂરી છે. અસ્થમા, હ્રદયરોગ અને ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના દર્દીઓમાં ઑક્સીજનની નિયમિત તપાસ કરવી જરૂરી છે.