સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ અને એનઆરસીના મુદ્દે આખા ભારતમાં એક બાજુ લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ ઘણા લોકો સમર્થન પણ આપી રહ્યા છે. આ વિવાદ વચ્ચે ગઇકાલે બુધવારે દ્વારકાનાં કલેક્ટર નરેન્દ્ર મીણાએ પાકિસ્તાનથી આવેલા હસીનાબેનને ભારતીય નાગરિકત્વ આપતું પ્રમાણપત્ર આપ્યું હતું. હસીનાબેન પહેલા ભારતમાં રહેતા હતા પરંતુ 1999માં પાકિસ્તાનમાં તેણે લગ્ન કર્યા હોય નાગરિકતા પાકિસ્તાનની થઇ ગઇ હતી.
દ્વારકાનાં કલેક્ટર નરેન્દ્ર મીણાએે જણાવ્યું હતું કે, હસીનાબેન દ્વારકા જિલ્લાનાં મૂળ નિવાસી હતા. તેમણે 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. એટલે તેમની નાગરિકતા પાકિસ્તાનની થઇ ગઇ હતી. તેમના પતિનાં મોત બાદ તેઓ ફરીથી અહીં રહેવા આવ્યા હતા. તેઓએ બે વર્ષ પહેલા ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. પહેલા અમારા અધિકારીઓએ ખરાઇ કરી અને પછી આ અંગેની પ્રોસેસ કરવામાં આવી હતી. બાદમાં ગૃહમંત્રીની મંજૂરી મળવાને કારણે તેમને નાગરિકતા આપવામાં આવી છે. પહેલા આ આખી પ્રોસેસ કરવામાં સમય લાગતો હતો કારણ કે બધુ જાતે કરાવવું પડતું હતું. પરંતુ આ અંગેની નોંધણી હવે સરકારે ઓનલાઇન કરી દીધી છે જેના કારણે હવે તેમને 6 મહિનામાં ભારતીય નાગરિકતા મળે છે
<